સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ

 

અવિસ્મરણીય રસજ્ઞ વિદ્વાન

ડૉ. હરિવલ્લભ ભાયાણીસાહેબની કલમે

સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યમાંથી

વર્ષા ઋતુનાં આલેખનોના અનુવાદ

 

 

-ડૉ. હરિવલ્લભ ભાયાણી

 

ડૉ. હરિવલ્લભ ભાયાણી
ડૉ. હરિવલ્લભ ભાયાણી

 

 

જો કે બની શકે એ વર્ષા ઋતુ રૌદ્ર અને ભયાનક...

 

1.

 

મૃગયા

જો ! રૌદ્ર વર્ષાઋતુ-રાજ ધાયો

હસ્તે મહા ઈંદ્રધનુ ઊઠાયો

ને સદ્ય વિદ્યુત્-શર તીક્ષ્ણ સાંધ્યું

ક્રંદંત અભ્ર-હરણું પડ્યું મર્મવીંધ્યું.

 

(કવિઃ કોદણ્ડ.) (ગ્રંથઃ સ્વયંભૂછંદ).

 

* *

 

2.

 

કોણ નભને

વીજરૂપી હેમના ચાબૂકથી ફટકારતું?

ભીતરેથી વેદનાના શા ઊઠે ગર્જન-બરાડા!

 

(કવિઃ વાલ્મીકિ.) (ગ્રંથઃ રામાયણ.)

 

* *

 

3.

 

હાથવેંતમાં વ્યોમ લાવતા,

વામણી કરતા સર્વ દિશા;

ને ડુબાડતા ક્ષણ ઘનગર્જનમાં

જલધારાનો અવિરત શોર

‘અણડૂબ્યું કો બાકી રહ્યું સ્થળ? – ‘

ઝળહળ વીજનયન વિસ્ફારી

આખી ધરાને જોઈ વળે

આ રાત્રીભર વરસંતા મેઘો.’

 

(કવિઃ પાણિની) (ગ્રંથઃ સુભાષિત રત્ન કોશ)

 

અને

 

* *

 

કેતકી-પરાગ કેરી અંગ અંગ ચોળી ભસ્મ,

નીલ અભ્ર-કેશ પર હિલોળતી બલાક્પંક્તિ-ખોપરી નિબધ્ધ,

સ્ફુરંત વીજ કેતુએ સજેલ ઇંદ્રચાપ-ખંડ-દંડ ધારી

આવતો, વિયોગિનીને ડારતો,

                        શું ઘોર વર્ષાઋતુ અધોરી !

 

(કવિઃ નરસિંહ) (ગ્રંથઃ સુભાષિત રત્ન કોશ)

 

* *

 

તે છતાં, થઈ નિર્ભય….

 

* *

 

મેઘમાળ ભીતરથી વછૂટ્યા,

કેવડિયે મઘમઘતા

કમળ શીતળ આ સુખદ વાયરા

કોઈ પીઓ, કોઈ પીઓ!

 

(કવિ; વાલ્મીકિ.) (ગ્રંથ; રામાયણ.)