'પરબ’ વિશેષ 

  • કાકાસાહેબ કાલેલકર દ્વારા, તેજસ્વિતાની અખૂટ પરબ નીવડવાની શુભેચ્છા પામી, ૧૯૬૦માં અમદાવાદથી, અનુક્રમે નગીનદાસ પારેખ, નિરંજન ભગત, ભૃગુરાય અંજારિયા અને યશવન્ત શુક્લના સ્થાપક સંપાદકમંડળના માર્ગદર્શન તળે ગુજરાતી સાહિત્ય પરિષદનું આરંભે ત્રૈમાસિક, વચ્ચે અનિયતકાલિક અને હાલ માસિક મુખપત્ર રૂપે ‘પરબ’ પ્રગટ થાય છે. આવશ્યકતાનુસાર એના સંપાદનકાર્યમાં પીતામ્બર પટેલ, જયંત કોઠારી, મનસુખલાલ ઝવેરી, ગુલાબદાસ બ્રોકર, ભોળાભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ, જયંત પંડ્યા, ચન્દ્રકાન્ત ટોપીવાળા, રમેશ ર. દવે, મનહર મોદી, જેવા વિદ્વાનોનો સહયોગ મળતો રહ્યો છે.
  • હાલ શ્રી ભરત મહેતા સંપાદક તરીકે મૂલ્યવાન સેવાઓ આપી રહ્યા છે.
  • સાહિત્ય પરિષદનાં વાર્ષિક સંમેલનો-જ્ઞાનસત્રોના સવિસ્તાર અહેવાલો તથા તેમાં રજૂ થયેલા નિબંધો, સૈધ્ધાંતિક ચર્ચાઓ, ગુજરાતી સાહિત્યનાં કર્તા-કૃતિનાં પરિચય-અવલોકનો તેમ જ ભારતીય અને વિશ્વભાષાઓની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદ પ્રગટ કરતા ‘પરબ’માં, ૧૯૮૦થી કવિતા, ટૂંકી વાર્તા, લલિત નિબંધ, નવલકથાખંડ અને એકાંકી-નાટક જેવી સર્જનાત્મક કૃતિઓ પણ પ્રગટ થાય છે. રવીન્દ્રસાહિત્ય, વાર્તાવિવેચન, ગુજરાતી માધ્યમની પહેલી પચ્ચીસ, સાહિત્ય અને પત્રકારત્વ, ઉર્દૂસાહિત્ય અને ગુજરાત, બાલસાહિત્ય, નર્મદ તથા સદીનું સરવૈયું તેમ જ નારીવાદ અને આઠમા-નવમા દાયકાની સાહિત્યિક ગતિવિધિને તે દરમ્યાન પ્રકાશિત પ્રમુખ-સાહિત્યસ્વરૂપોમાંના નોંધપાત્ર પુસ્તકોની સમીક્ષા દ્વારા મૂલવતા વિશેષાંકોનું પ્રકાશન એ ‘પરબ’નું નોંધપાત્ર પ્રદાન છે.